સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી. એેના કારણે ફાયરબ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.
11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કૂલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતાં ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ત્યાર પછી સાંજના 6 વાગ્યા સુધી 7માં માળે આગની જ્વાળાઓ દેખાતી હતી. આ દરમિયાન છઠ્ઠા માળે આગ ભભૂકી હતી. અંતે 7 વાગ્યે એટલે કે 12 કલાકે આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જોકે, રાત્રે 9 વાગ્યા બાદ છઠ્ઠા માળે આગની જ્વાળાઓ દેખાઈ હતી. ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે કે આગ કાબુમાં આવી ગઈ છે. પરંતુ પાણીનો મારો ચલાવ્યા બાદ ફરી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.
રાજ ટેક્સટાઈલ માર્કેટની એ, બી અને સી બિલ્ડિંગમાં વેપારીઓની અંદાજે 400 જેટલી દુકાનો છે. બી બિલ્ડિંગમાં આગને લઈ દુકાનોમાં ભારે નુકસાન થયું છે. સાથે માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આખીને આખી રાજ ટેકસટાઇલ માર્કેટ અમર્યાદિત સમય માટે બંધ રાખી દેવાનો આદેશ કરી દીધો છે. જેને પગલે માર્કેટમાં જે વેપારીને આગથી નુકસાન નથી થયું તેઓ પણ કાલથી માર્કેટમાં વેપાર કરી શકશે નહીં. ફરી તમામ વિભાગોના એનઓસી લીધા બાદ માર્કેટને શરૂ કરવા દેવામાં આવશે.
3 ફાયર કર્મીને ગુંગણામણ થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન ત્રણે ફાયર જવાનને ગુંગળામણ અને બે ફાયર જવાન દાઝી ગયા છે. પાંચેય જવાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે.
10થી 12 કરોડના નુકસાનનો અંદાજ આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે, જોકે નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ જ સામે આવી શકશે. પ્રાથમિક અંદાજ 10થી 12 કરોડનો લગાવવામાં આવ્યો છે
વધુ મટિરિયલ રાખવામાં આવ્યું હોવાથી આગ ફેલાઈ: ચીફ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી છે અને NOC પણ છે. માર્કેટમાં વધુ મટિરિયલ રાખવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન ટ્રેડિંગનો માલ પણ પડ્યો હતો, જેથી આગ વધુ ફેલાઈ હતી.
3થી 4 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા સવારે સાત વાગ્યે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં જ માર્કેટનાં વેપારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક માર્કેટ તરફ ધસી ગયા હતા. એક તબક્કે આગની જવાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દુર સુધી દેખાતાં વેપારીઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો.
કર્મચારીઓ અને વેપારીઓના ટોળેટાળા એકઠા થયા કરોડો રૂપિયાનાં નુકસાનની આશંકાઓ વચ્ચે સવારથી જ વેપારીઓની સાથે-સાથે કર્મચારીઓ પણ માર્કેટ પરિસર અને આસપાસ ટોળે વળીને ઉભા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો.

